
આ બધી વસ્તુ કંસના લાભપક્ષે હતી અને વારંવાર એ એનું રટણ કર્યા કરતો, તેમ છતાં તેનું હૃદય બેચેન રહ્યા કરતું હતું: દેવકીનો આઠમો પુત્ર હજી જીવતો હતો; નારદે ભાખેલી ભવિષ્યવાણી એટલા પૂરતી તો સાચી પડી હતી; અને એ હવે મથુરા આવવાનો હતો!
હા, એ સાચુ હતું કે કૃષ્ણ હતો તો ફક્ત ગોવાળિયાનો છોકરો. એનાં જે ભારે પરાક્રમોનાં યશોગાન ગવાતાં હતાં તેમાં પણ ગામડાંનો કોઇ બહાદુર જુવાન કરે તેવાં સાહસકાર્યોથી વિશેશ કંઇ જ નહોતું-ફક્ત અતિશયોક્તિ કરી કરીને લોકોએ એનું આખું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું! પણ, વસુદેવ તથા દેવકી તેમજ કેટલાયે યાદવો એને ભવિષ્યના તારણહાર તરીકે માનતા હતા; અને લોકવાયકા પણ એમની શ્રદ્ધાનું સમર્થન કરતી હતી. પેલો ખંધો બ્રાહ્મણ ગર્ગાચાર્ય ન તો કશુ બોલતો હતો કે ન તો પોતે એને તારણહાર તરીકે માને છે એવું પોતાના વર્તન દ્વારા જણાવા દેતો હતો. અને છતાં, કોણ જાણે કેમ, લોકો તો એમ જ માનતા હતા કે ગર્ગાચાર્યને એ તારણહાર વિશેની બધી જ ખબર છે. નંદ ગોવાળનો પુત્ર એ જ દેવકીનો આઠમો પુત્ર છે, એવી અફવા લોકોમાં ઝડપભેર પ્રસરતી જતી હતી. તેને અટકાવવા એણે-કંસે પોતે-પ્રયત્ન કર્યો હતો; પરંતુ યાદવ સરદારોની સભા સમક્ષ પોતે જે ઉદગારો કાઢ્યા હતા તે પછી એ વાતને કર્ણોપકર્ણ ફેલાતી અટકાવવી, એ બહુ મુશ્કેલ કામ હતું.
કેટલીક વાર કંસને પોતાની આસપાસ કોઇ જાળ રચાતી હોય અને તેમાં પોતે વધુ ને વધુ ફસાતો જતો હોય, એવી લાગણી થઇ આવતી. શાંત ચિત્તે વિચાર કરતાં એને લાગતું કે આ તો કેવળ ખોટી-માત્ર પોતાની કલ્પનાએ ઊભી કરેલી-ભ્રમણા જ છે. આમ છતાં આવી જાતની લાગણી એનાથી રોકી શકાતી નહીં.
આજે રાત્રે કંસ હંમેશ કરતાંય બેચેન બન્યો હતો. એને લાગ્યુ કે ‘અત્યાર સુધીમાં અક્રૂર વૃંદાવન પહોંચી ગયા હશે; છોકરાઓ મથુરા આવવાની તૈયારી કરતા હશે; અને આવતી કાલે તો એ નગરમાં આવી પણ પહોંચશે. કેવાક હશે એ? એને વળી ચિંતા શી કરવી? છોકરા જેવા છોકરા,બીજું શું! એમનાથી ભય પામવો એ તો ખાલી ભ્રમણા જ કહેવાય!’
આમ છતાં કંસને ચેન પડ્યું નહી; શાંતિપૂર્વક એનાથી વિચાર પણ કરી શકાતો નહોતો. હૃદયને સતાવતી આ બેચેનીને કોઇ પણ રીતે દૂર કરવી જ જોઇએ એમ એને લાગ્યું. એને વરદા યાદ આવી. યુદ્ધ પૂરું કરી એ પાછો આવ્યો ત્યારે પોતાની સાથે આ તરુણ વારાંગનાને લેતો આવ્યો હતો. એ કોઇનું પણ મન હરી લે એવી હતી-એવી સુંદર, આકર્ષક, આનંદી સ્વભાવની-પરંતુ રાજકારભારમાં ડૂબી જવાથી કંસ થોડોક વખત એને વીસરી ગયો હતો. અત્યારે એને લાગ્યું કે ‘હું એની પાસે જઇશ તો મારું મન ફરી સ્વસ્થ થશે. એના આલિંગનથી મારામાં ફરી આત્મવિશ્વાસ આવશે,મારા ચિત્તને શાંતિ મળશે ને હૃદયને ગૂંગળાવતા પેલા બે છોકરાઓના કાલ્પનિક ભયને વીસરી શકીશ.’




























Powered By