અક્રૂર બહુ પ્રેમાળ હ્રદયના હતા. નંદ વિષે કૃષ્ણે કરેલો ઉલ્લેખ એના હ્રદયને સ્પર્શી ગયો.
‘આખું મથુરા અધીર બનીને તારી વાટ જોઇ રહ્યું છે કૃષ્ણ!’ અક્રૂરે કહ્યું, ‘વસુદેવ ને દેવકી તો તને મળવા માટે તલપાપડ થઇ રહ્યાં છે.’
‘સોળ વરસ સુધી એમણે વાટ જોઇ તો હવે થોડીક ઘડીઓ તેઓ વધારે રાહ જોઇ શકત,’ કૃષ્ણે કહ્યું, ‘પણ હું રથમાં બેસીને મથુરા જાઉં ને પિતાજી પગ ઢસડતા આવે એ કદી ન બને.’
‘વત્સ, વૃંદાવનને ભૂલી જા. તું હવે વાસુદેવ- રાજા વસુદેવનો પુત્ર કુમાર વાસુદેવ- બન્યો છે તે ન ભૂલતો.’
હ્રદય હરી લે એવો આકર્ષક લજ્જાભાવ ધારણ કરીને કૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘ના, કાકા, હું વૃંદાવનનો ગોવાળિયો છું, એ વાત ભૂલવા માગતો નથી- કદાપિ નહીં !’
અક્રૂરના મનમાં ફરી શંકા જાગી ઊઠીઃ આ છોકરો કૃષ્ણ ઉદાર યાદવ જાતિનો ઉદ્ધાર કરવા સમર્થ થઇ શક્શે ખરો?
‘આપણે જરા અહીં થોભીએ અને પછી પિતાજી નગરની સમીપ આવી પહોંચે ત્યારે એમની સાથે જઇએ.’ કૃષ્ણે કહ્યું.
બળરામે મોં મચકોડીને કહ્યું, ‘કૃષ્ણ, તું તો એવો ને એવો રહ્યો! સીધા શહેરમાં પહોંચી જઇએ તો જ ખરી મજા આવે. મારે નગર જોવું છે; એના મહેલો ને બજારો, એ બધું જોવું છે.’ આ રીતે બળરામે સૌથી પહેલા મથુરા પહોંચી જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી તો ખરી, પરંતુ જે શ્રદ્ધાપૂર્વક એણે કૃષ્ણ સામે નજર કરી એમાં પોતાનો નાનો ભાઇ જે આજ્ઞા ફરમાવે તે સદા પોતાને માન્ય રહેશે, એવું સૂચન રહેલું હતું.
‘જો તમને ગમતું હોય તો એમ કરીએ.’ અક્રૂરે કહ્યું, ‘પણ ત્યાં આપણી શી દશા થવાની છે તમે જાણો છો. કંસની પ્રપંચજાળમાં ફસાવવા માટે મેં યાદવોને બોલાવ્યા છે ને તમને પણ હું ત્યાં જ લઇ જાઉં છું.’
‘પણ કંસ મામાને તમે આવી પ્રપંચજાળ કરવા જ શા માટે દીધી?’ બળરામે પુછ્યું.
‘વર્ષો થયા એવી મુર્ખાઇ અમે કરતા આવ્યા છીએ.’ અક્રૂરે કહ્યું, ‘કંસ પહેલેથી જ કપટી હતો. એનો પ્રધાન પ્રલંબ અમારા કરતાં વધારે દીર્ઘદૃષ્ટિવાળો હતો અને મોટા ભાગના અંધકોએ એમને સાથ આપ્યો હતો. એ અંધકોનો એક સમર્થક સરદાર પ્રદ્યોત કંસનો વફાદાર સેવક છે તે તમે જાણો છો ને?’
(અંધક યાદવોની જ એક પેટાજાતિ હતી)
No Comments »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI




























Powered By